Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 11:01 am
ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યોછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ 24 ઈંચ વરસાદ ખાબકી ગયો છે, જેમાં કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ થયો છે.70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતરરાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલુ છે એમ આજે ગાંધીનગર ખાતે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.ગુજરાતનાં જળાશયોમાં 68.31% જળ સંગ્રહસરદાર સરોવર જળાશયમાં 265148 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 79.37% છે. જ્યારે રાજ્યનાં 206 જળાશયમાં 344399 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 61.70% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –57, એલર્ટ ૫ર કુલ-10 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.નર્મદા ડેમની જળસપાટી 132.48 મીટર પહોંચીસરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં હાલમાં વરસાદ નથી, જેને કારણે પાણીની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 52656 ક્યુસેક છે, જેને પગલે એક દિવસમાં નર્મદા ડેમની જળસપાટી 10 સેમી વધી છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.48 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.